વાસ્તુશાસ્ત્રમાં કોઈપણ મકાનની આંતરિક કે બાહ્ય રૂપરેખાના વિષયમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં વિદ્યાર્થીઓની રહેણીકરણી અને અભ્યાસનાં વિષયને પણ આવરી લેવાયો છે. આ બધા જ દિશા નિર્દેશો બાળકોનાં બૌદ્ધિક, સામાજીક, મનોવૈજ્ઞાનિક વિકાસમાં મદદરૂપ થાય છે. સાથે સાથે તેને એક ઉત્તમ નાગરિક બનાવવામાં પણ પ્રોત્સાહન આપે છે.
વાસ્તુશાસ્ત્રમાં શિક્ષણ અને અભ્યાસ માટે પૂર્વ દિશાને શ્રેષ્ઠ દિશા ગણાવાઈ છે. જો વ્યવહારિક દૃષ્ટિથી જોઈએ તો સૂર્યની દિશામાં ઉર્જા અને પ્રકાશનું સંપૂર્ણપણે અસ્તિત્વ હોય છે. તેથી પૂર્વ દિશામાં બનાવાયેલા અભ્યાસ ખંડમાં પૂરતા પ્રમાણમાં બારી-દરવાજા હોવા જોઈએ. કારણ કે પૂરતા પ્રકાશવાળા, સ્વચ્છ અને હવાની અવરજવરવાળા ઓરડામાં અભ્યાસ કરવાથી શારિરીક ઉર્જા સંતુલિત રહે છે. પરિણામે અભ્યાસમાં એકાગ્રતા આવે છે અને જીવન માટેની જરૂરી ઉર્જા-સ્વચ્છતા હંમેશ માટે જળવાઈ રહે છે. પણ જો તમારા ઘરમાં પૂર્વની દિશાવાળો એકપણ ઓરડો ન હોય તો અન્ય સ્થાને પૂરતા પ્રકાશ અને વાયુની વ્યવસ્થા થઈ શકે છે.
વિદ્યાર્થી અભ્યાસ વખતે પૂર્વ, ઉત્તર કે પૂર્વોત્તર દિશામાં મુખ રાખે તે સ્થિતિ શ્રેષ્ઠ ગણાય છે. વાસ્તુશાસ્ત્રમાં અભ્યાસ ખંડને વધુ ઉર્જાવાન બનાવવા અને અભ્યાસ માટેના જરૂરી એવા વાતાવરણના નિર્માણ માટે કેટલીક સલાહો આપવામાં આવી છે. વિદ્યાર્થીએ અભ્યાસ, સૂવા, ભોજન અને મનોરંજન માટેનું સ્થાન નક્કી કરવુ જોઈએ. શયન ખંડમાં પથારી પર, જમવાના ટેબલ પર કે ટીવી જોતી વખતે અભ્યાસ કરવાથી એકાગ્રતામાં ઘટાડો થાય છે. બાળકની માતાએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સમાજ દ્વારા અનિચ્છનીય આદતો અને પ્રવૃત્તિઓ ભૂલ, આદત, પ્રકૃત્તિ અને સંસ્કૃતિ એમ ચાર તબક્કામાં વધે છે, જ્યારે એકની એક ભૂલ વારંવાર થાય ત્યારે તે આદત બની જાય છે. તો આવામાં આદત કે કુટેવ સુધારવામાં ઘણી મુશ્કેલી થાય છે. પણ પ્રકૃત્તિ જ્યારે આપણા પરિવાર કે સમાજમાં સંસ્કૃતિનું રૂપ લે છે ત્યારે તેને સુધારવું કે અટકાવવું અશક્ય બની જાય છે. તેથી આપણે બાળકોને કોઈ પણ ભૂલ આદતનું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં તેને સુધરવાની પૂરતી તક મળે એવું વાતાવરણ બનાવવું જોઈએ. આપણે અભ્યાસ, વાંચન-લેખન, દિનચર્યા કે જીવનશૈલીનું એક એવું વાતાવરણ બનાવવું જોઈએ કે જેથી આપણે બધા એક સકારાત્મક માનસિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી શકીએ અને તેમાં સંકુચિત વિચારધારાનું કોઈ સ્થાન ન હોય. બાળકનાં માતા પિતાએ બાળકને સમજાવવું જોઈએ પથારી સૂવા માટે છે, ટીવી ખંડ મનોરંજન માટે છે અને તેથી તે જ્યારે જે કાર્ય કરે ત્યારે તે કાર્ય પર જ ધ્યાન આપવું જોઈએ. એક સાથે ઘણા વધારે કામ શરૂ કરવા કે ઘણાં વધારે કામમાં ધ્યાન કેન્દ્રિત કરવું અશક્ય છે.
વાસ્તુશાસ્ત્રમાં પૂજા-અર્ચના, પૂજા સ્થાન અને પૂજાની મનોવૃત્તિ વિશે પણ ગહન સલાહ આપવામાં આવી છે. આમ તો ભારતીય સંસ્કૃતિમાં આપણે પરિવાર કે પૂર્વજો પાસેથી પેઢી દર પેઢી ધર્મ-કર્મની ભાવના અને સંસ્કારોને સામાજીક સ્વરૂપે મેળવીએ છે. છતાં વિદ્યાર્થીના મનમાં શુદ્ધતા, સાત્વિકપણું અને ધાર્મિક પ્રવૃત્તિનું સમયસર સિંચન કરવામાં સફળ થઈએ તો બાળકોમાં સ્વનિયંત્રણ અને એકાગ્રતાનો ગુણ કેળવાય છે. પરિણામે તેઓ ખોટે માર્ગે ચઢતા નથી. જો કે બાળકોને લાંબી-લાંબી પૂજા-અર્ચના કે વિધિ-વિધાનોમાં નાંખવા ન જોઈએ. તેને બદલે તેના અભ્યાસ ખંડમાં કે તેના સ્ટડી ટેબલની સામે એક નાનો મા સરસ્વતીનો ફોટો કે મૂર્તિ અથવા તો પોતપોતાના ધર્મઅનુસાર ધાર્મિક ચિત્રો મૂકવા જોઈએ.
આમ કરવાથી બાળક સામાજીક, મનોવૈજ્ઞાનિક અને ધાર્મિક રીતે શુદ્ધ રહેશે અને તેના વિચારો પણ ઉચ્ચતમ બનશે. ક્યારેય પણ પોતાના અભ્યાસના ટેબલની અંદર, આસપાસમાં કે નીચે અથવા તો પુસ્તક અને બાળકના દફ્તરની આજુબાજુમાં કોઈપણ ગંદી વસ્તુ, એંઠા વાસણો કે બૂટ ન મૂકવા. જો અભ્યાસ ખંડની પાસે શૌચાલય હોય તો તેને નિયમિતપણે સાફ કરવાની સાથે તેનો દરવાજો હંમેશા બંધ રાખવો જોઈએ. કારણ કે ગંદા અથવા ખુલ્લા શૌચાલયમાંથી હંમેશાં નકારાત્મક ઊર્જા નીકળે છે જે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અભ્યાસ માટે યોગ્ય નથી.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પ્રકૃત્તિના પાંચ તત્વોમાંથી આકાશનું તત્વ આપણા બૌદ્ધિક સ્તરને વિસ્તૃત બનાવે છે. આમ તો હંમેશા ખુલ્લા આકાશ નીચે રહેવું શક્ય નથી. તેથી વહેલી પરોઢે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને થોડું ચાલવાથી સ્વચ્છ-ખુલ્લી હવા પ્રાપ્ત થાય છે. તેનાથી આપણને આપણી માનસિક ક્ષિતિજની વ્યાપકતા અને વિસ્તૃત બૌદ્ધિક સ્તર પ્રાપ્ત થાય છે. ખુલ્લુ આકાશ વિદ્યાર્થીઓને સંકુચિત ભાવનાઓથી ઉપર ઉઠાવીને એક શિષ્ટ, ઉદાર, સ્વતંત્ર વિચારોવાળો પ્રગતિવાદી અને સારો નાગરિક બનાવવામાં મદદ કરે છે.
લોકમુખે